તમે આટલું તો કરી જ શકો…યુવા ઝુંબેશ…જાગો…યુવા..જાગો !!

18:09 Posted by Chandsar
આ સંસાર પરિવર્તનશીલ અને ગતિશીલ છે, જે આ પરિવર્તન સાથે તાલ નથી મિલાવતા તે હંમેશા પાછળ ત્યાં ને ત્યાં રહી જાય છે અને નવી પ્રગતિ કે વિકાસ ના તેઓ પોતે પોતાના અવરોધક બની જાય છે.
સમાજમાં વર્ષોથી વ્યાપેલી રૂઢિઓ અને કુરિવાજો ની બદી ને જડમૂળથી ઉખેડવા માટે મક્કમ મનોબળ અને વિચારો ધરાવતા આંગળી ના વેઢે ગણી શકાય તેવા કોઈક જ વીરલાં હોય છે. જયારે-જયારે તેઓ કંઈક નવું કરવાં કે નવા વિચારને રજૂ કરે ત્યારે-ત્યારે તેમની સામે દંભી ગણાતા અને કહેવાતા
સમાજસેવકો પોતાનો વિરોધ અને વિવાદોનો વંટોળ ખડો કરી દે છે, પણ સત્ય, સેવા,સુવિચાર અને શુભ ભાવ થી કરેલી તેમની વિચારસરણી આજે નહીં તો કાલે, સમય જતાં લોકો અપનાવે છે અને તે દ્વારા પરિવર્તન નો પવન ફૂંકાય છે. બસ આ પરિવર્તન ના વિચાર નો શંખનાદ કરનાર કોઈક વીરલ વ્યકિતત્વ હોવું જોઈએ. બાકી તેને સમાજ ના જે બૂદ્ધિત્વ ધરાવે છે તે વહેલાં અપનાવશે અને જે રૂઢિચૂસ્ત છે તે થોડાં મોડે લાઈટ થતા અપનાવશે, કેમકે તેમને પણ તે અપનાવ્યાં વગર છૂટકો નથી. કેમકે ફૂંકાતાં પવન ની સાથે તેને પણ પાછળથી ઘસડાવું પડશે, નહીં તો તે આ સમાજથી છૂટો પડી જશે-પાછળ રહી જશે.
સમાજમાં ઘણાં એવાં વ્યકિતઓ છે જે પોતાના ખર્ચે સાચી સેવાયજ્ઞની ધૂણી ધખાવે છે પણ કયારેય તેમને પ્રસિદ્ધિ મેળવવાની ખેવના હોતી નથી. તેઓ કોઈપણ સેવામાં અનુદાન આપે તો પોતાના નામ લખાવવાને જગ્યાએ રામ ભરોસે લખાવી દેતા હોય છે.

હું કે તમે તેવાં વીરલાં કે મહાન નથી, પરંતુ સમાજ ના એક અંગ તો છીએ જ, આ નાતે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આપણાં રોજિંદા કાર્ય કે અઠવાડિક રજા ના દિવસે, આપણાં કાર્યની સાથે-સાથે આટલું તો કરી જ શકીએ…અને સમાજ તથા રાષ્ટ્ર ના વિકાસ ની ગતિશીલતા માં યોગદાન આપીએ..
– આપણને ભીડવાળી બસ કે લોકલ ટ્રેનમાં ઊભા-ઊભા મુસાફરી કરવી ગમતી નથી, યુવાન હોય અને માત્ર અડધો કે એક કલાક નો માંડ રસ્તો હોઈ અને દરરોજ અપડાઉન કરતાં હોઈએ તો પણ ટ્રેન કે બસ આવે એટલે જગ્યા માટે પડાપડી ! અપડાઉનીયા ના મિત્રો આગળ ના સ્ટેશને થી જ તેમને માટે જગ્યા રાખી દે શે, બારી માંથી બેગ કે થેલી, રૂમાલ ઈવન ન્યુઝપેપેર પણ સરકાવી ને જગ્યા બુક કરવાની, જગ્યા મળી જાય ને કદાચ ખુબસુરત યુવતી બાજુમાં આવીને ઊભી રહે તો તેને પોતાની જગ્યાએ બેસવાનો આગ્રહ કરવાનો પણ કોઈ અપંગ, અસહાય-નાદુંરસ્ત, સગર્ભા સ્ત્રી કે વૃદ્ધ ને તમે ઊભા થઈને કદી જગ્યા કરી આપી છે ?!, જો તમે જગ્યા આપી હોય તો મિત્રો કહી શકાય કે તમારામાં હજુ પણ માનવતા અને ભારતીય સંસ્કાર જીવે છે !! અને તેને હંમેશા આપણે અકબંધ રાખવાની છે અને આગળ વધારવાની છે…
- તમે અઠવાડિક રજા હોય એટલે રજા ની મજા માણવા માટે આખા પરિવાર સાથે પિકનીક પર સારા જોવાલાયકસ્થળે, બગીચે, મલ્ટીપલ્ક્ષ થિયેટરમાં ફિલ્મ જોવા કે પછી ફાઈવસ્ટાર હોટલમાં જમવા માટે લઈ જાવ છો. પરંતુ તમે કયારેય વૃદ્ધાશ્રમ, અનાથશ્રમ કે અંધ, બહેરા-મૂંગા અથવા અપંગ વ્યકિતને સાચવતા કોઈ આશ્રમ કે સંસ્થાની કયારેય મુલાકાત લીધી છે ?! કયારેક તમે કે તમારા પરિવાર સાથે રજાના દિવસે આવા નિરાધાર લોકો ની સાથે તમારી કિંમતી ક્ષણોમાંથી થોડીક ક્ષણો તેમને આપો, તમારી આવી મુલાકાતથી તેમના જીવનમાં નવી આશા અને ચેતના પ્રગટાવશે, તેમના સુખ-દુઃખની વાતો તમારી સાથે શેર કરવાનો આધાર મળશે. તેમની જીવન જીવવાની જિજીવિષા ફરીથી પ્રજળશે અને તમારી આ હૂંફથી તેમનાં મુખ પર કેટલો આનંદ વ્યાપે છે તે આપ ખુદ નિહાળો…
-અને આ વૃદ્ધાશ્રમો અને અનાથાશ્રમો એ આપણે(આપણાં સમાજે) જ આપેલી ભૂલો ની એક દેણ છે. વૃદ્ધાશ્રમો માં વૃદ્ધોની વધતી જતી સંખ્યા આ શિક્ષિત ગણાતા યુવા સમાજ માટે એક શરમ જનક બાબત છે. અરે હાલમાં દરેક વૃદ્ધાશ્રમો માં તેમની ક્ષમતા કરતા પણ વધારે વૃદ્ધોને રાખવા છતા કેટલાંયે વૃદ્ધો હાલમાં પ્રવેશના વેઈટીંગ લિસ્ટમાં છે… આપણે પળેલાં પ્રાણીઓ(કૂતરા વિગેરે)ની પરવરીશ(સારસંભાળ)સારી રીતે કરી શકીએ છીએ, પણ માતા-પિતાની?!…
-તમે કયારેક ખરા બપોરે અગનવર્ષતા રોડ પર ખુલ્લાપગે ચાલતા ભિખારીઓ, મજૂરી કરતાં ગરીબ મજૂર, ગરીબ ઝૂંપડપટ્ટીના બાળકો ને જોયા હશે?! તમે કોઈકવાર તેમને પ્લાસ્ટીક કે રબર ના સ્લીપર આપ્યા છે? અરે ખરીદીને ન આપતો જૂનાં પણ આપી શકો..
હા, આવો જ અનુખો શ્રમયજ્ઞ આપણો એક યુવા મિત્ર કરી રહ્યો છે..નંદન પંડ્યા કે જે મૂળ ભાવનગર નો પણ હાલમાં મુંબઈ ની સોમૈયા કોલેજમાં આઈટી એનિજનીયરીંગ માં ભણતો આ ૨૩ વર્ષનો યુવાન અનોખો સેવાયજ્ઞ આદર્યો છે. પોતાના સ્વખર્ચે સ્લીપર ખરીદીને ગરીબ મજૂરો અને બાળકોને આપીને તેમના બળતા પગની સાથે તેમની આંતરડીને ઠારે છે.

- તમે ભણેલા છો, તમને અંગ્રેજી પર સારૂ પ્રભુત્વ અને પકડ ધરાવો છો, પરંતુ શું તમે કોઈ દિવસ તમારા સગાં-સંબંધીઓ કે મિત્રો ને કે જેમનું અંગ્રેજી પુવર છે-કાચું છે તેમને કદી અંગ્રેજી શીખવાડવવાની કે તે માટે સમય ફાળવી આપવા ની કયારેય તસ્દી લીધી છે કે તૈયારી બતાવી છે?! મિત્રો વિધા જેવું કોઈ દાન નથી, કેમકે તે ગમે ત્યારે, ગમે તેને આપી શકાય છે અને તેના આપવાથી કંઈ ખૂટી જતું નથી, પણ ઉલ્ટાનું જ્ઞાન અને વિધા વધે છે..
-તમે રજાના દિવસે તમારા સોસાયટી કે મહોલ્લાના મિત્રો એકઠાં થઈને તમારા વિસ્તાર ના આસપાસ ના મદયમ કે ગરીબ વર્ગના લોકો ના બાળકો ને મફત ટ્યુશન ન આપી શકો ?! અરે તમને સમય મળે ત્યારે રોજ સાંજના એક કલાક તમે તેમને માટે ફાળવી શકો. કોઇપણ મંદિર ના ઓટલે કે કોઈક ઝાડના છાંયડે કે જાહેર ચોરે અથવા ગામના પાદર ના ઓટલે બેસીને આવા બાળકોને ભેગા કરીને વિધા દાન ની અનોખી સેવા કરી શકાય…ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં જઈને મફત ટયુશન આપતા લોકો ને અમે જોયા છે અને તે અમો કરીએ પણ છીએ. આમાં તમારે તમારો કોઈ એકપણ પૈસો ખર્ચવાનો નથી.
- – તમે બાળ મજૂરો ને જોયા છેને?!
બાળ મજુરી હજુપણ ભારત માં રહેવાની જ, કેમકે, પેટનો ખાડો પુરવો પડે છે. ગરીબી તેમની મુખ્ય મજબુરી છે, બેકારી અને ગરીબી નો જયાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા તમે કાયદા બનાવો, કંઇ ફરક પડવાનો નથી! જ્યાં ખાવાનાં ફાફાં હોય ત્યાં ભણવાનું તો ક્યાંથી હોય ?! રમવાનાં અને ભણવાનાં આ દિવસોમાં મજુરી કરી ઘરમાં મદદ રુપ થઈ ને બે ટંક નો રોટલો કાઢવો તેમનાં માટે મુખ્ય જરુરિયાત છે.

શું તમે આવાં બાળકો માટે કંઈક મદદ ન કરી શકો ?(એમાંપૈસો ખર્ચવાનો નથી!)
-જો તમારો આત્મા હા પાડતો હોયતો, તમે આટલું જરુરથી કરો .
(૧)તમારાં બાળકો નાં પાછળનાં ધોરણનાં પડેલાં જૂનાં પુસ્તકો, નોટ બુકો, કંપાસ, કલર્સ, દફતર વિગેરે સ્ટેશનરી દાનમાં આપીને… અથવા આ કામ ટ્ર્સ્ટ, સંસ્થાઓ તથા સેવાભાવી મંડળો અથવા તમારી સોસાયટી કે ચાલીના યુવાનો ભેગાં મળીને આ કામ કરી શકે. કચ્છમાં “માનવ જયોત” નામે એક સંસ્થા જબરજસ્ત કામ કરે છે. તેને પોતે આ વાત અમલમાં મુકી દિધી છે.
(૨)તમારી આજુબાજુ જો આવા બાળકો જોવા મળે તો તમારી બાજુની સરકારી સ્કુલમાં ભરતી કરાવો. તેના માતા-પિતાને મળીને સમજાવો કે જે ખર્ચો થાય તે માટે અમે બેઠા છીએ. તેમને મળતાં સરકારી લાભો વિશે માહિતી આપો. સરકારી સ્કુલોમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. માત્ર તમારે તમારો કિંમતી સમય આ માટે આપવાનો છે.

(૩)કન્યાઓ ને સરકારી સ્કુલોમાં એડમિશન વખતે તેમના નામે બોન્ડ/વિકાસપત્ર આપવામાં આવે છે. તમારે માત્ર આવાં બાળકોનાં માતા-પિતાઓને સમજાવવા નાં છે. આંગળી ચીંદ્યાયાનું પુણ્ય તમારે લેવાનું છે.
(૪)વિધા દાન જેવું કોઈ મહાદાન નથી. તે નાનાં ભુલકાં નાં ચહેરામાં તમારા બાળકનો ચહેરો નિહાળો. એકવાર આ સેવાનું કાર્ય કરો, તમારે મંદિર માં રહેલાં ભગવાન ને ત્યાં પછી માથું ટેકવવાં જવાની જરુર કદાચ નહીં પડે!! અનુભવો કે આ કાર્ય કરવાથી તમાર મન અને આત્મા ને કેટલો સંતોષ મળે છે !!
ટ્રેનોમાં કે બસમાં, જયાં-જયાં માનવ મહેરામણ એકઠો થતો હશે ત્યાં-ત્યાં લોકો આ દેશની અને સમાજની બહુ ચિંતા થતી હોય તેમ હાલત પર મોટી-મોટી વાતો કરતા રહે છે, પરંતુ જયારે વાત આ પરિસ્થિતીને સુધારવા માટે પોતાનાથી અમલ કરી શરૂઆત કરવાની આવે ત્યારે ભાગે છે…માત્ર વાતો કરે કે ભાષણો થી સમાજ કે દેશ આગળ આવવાનો નથી આપણે જ આવું કંઈક કરીને તેમાં નોંધપાત્ર ફાળો આપવાનો છે.