મૃત્યુ પછી જીવનું શું થાય છે? મૃત્યુ પર વિજય કેવી રીતે મળે?

15:34 Posted by Chandsar
અરુણ એક મર્હિષ હતા. તેઓ અન્નદાન ખૂબ કરતા. તેમને ઉદ્દાલક નામનો પુત્ર હતો. મર્હિષ અરુણના પુત્ર ઉદ્દાલકે એક વખત વિશ્વજિત નામના યજ્ઞાનું આયોજન કર્યું. યજ્ઞા સંપન્ન થયા પછી તેમણે બ્રાહ્મણોને દક્ષિણા આપવા માટે ગાયો મગાવી, પરંતુ એ ગાયો અત્યંત દુર્બળ અને વૃદ્ધ હતી. કેટલીક તો સાવ હાડપિંજર જેવી થઈ ગયેલી હતી. એવી નિર્બળ ગાયોને જોઈ ઉદ્દાલકના નાનકડા પુત્ર નચિકેતાએ કહ્યું, “પિતાજી! દાન આપવાની ચીજ તો ઉત્તમ હોવી જોઈએ, તો તમે કનિષ્ઠ વસ્તુનું દાન કેમ આપવા માગો છો?”
ઉદ્દાલકે પૂછયું, “તો શાનું દાન આપવું જોઈએ?”
નાનકડા નચિકેતાએ કહ્યું, “જે વસ્તુ તમને સહુથી પ્રિય હોય તેનું દાન આપવું જોઈએ. એ જ દાન શ્રેષ્ઠ ગણાય.”
નચિકેતાની ઉંમર નાની હોવા છતાં પોતાને સલાહ આપતો હોઈ પિતાનો અહં ઘવાયો. એમણે કહ્યું, “એમ તો તું મારો પુત્ર હોઈ તું જ મને સૌથી વધુ પ્રિય છે.”
નચિકેતા બોલ્યો, “તમારી પ્રિય વસ્તુ હું છું, તો તમે મને કોને દાનમાં આપવાનો વિચાર કર્યો છે?”
પિતાથી પુત્રનું આ ડહાપણ સહન ન થયું. પિતા ઉદ્દાલક પણ એક ઋષિ હતા, પણ આવેશમાં આવી જઈને તેમણે કહ્યું, “જા, હું તને મૃત્યુના દેવ યમદેવતાને દાનમાં આપું છું.”
નાનકડો નચિકેતા સ્થિર રહ્યો. એ સીધો જ યમદેવતાના ભવન પર પહોંચી ગયો. એ ત્યાં પહોંચ્યો ત્યારે યમદેવતા ઘરે નહોતા. નચિકેતા યમદેવતાના ઘરની બહાર ત્રણ દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો બેસી રહ્યો. ત્રણ દિવસ પછી યમદેવતા ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું તો એક નાનકડો બાળક ત્રણ દિવસથી ભૂખ્યો-તરસ્યો તેમના ઘરની બહાર બેસી રહ્યો હતો. તેમને અપાર દુઃખ થયું. તેમણે કહ્યું, “તું કોણ છે?”
“હું નચિકેતા, ઋષિ ઉદ્દાલકનો પુત્ર છું. તેમણે મને તમારી પાસે દાનરૂપે મોકલી આપ્યો છે.” નચિકેતા બોલ્યો.
યમદેવતાએ કહ્યું, “નચિકેતા! તું ત્રણ દિવસથી ભૂખ્યો છે. તેં પાણી પણ પીધું નથી. તું મારી પાસેથી ત્રણ વરદાન માગી લે. તારા જેવા પવિત્ર બાળકની ઇચ્છા સંતોષવાથી મને શાંતિ પ્રાપ્ત થશે.”
નચિકેતાએ કહ્યું, “યમદેવતા! હું તમારા ઘરે આવવા નીકળ્યો ત્યારે મારા પિતા ક્રોધે ભરાયેલા હતા. હું ઘરે પાછો જાઉં ત્યારે તેઓ મને બહુ જ પ્રેમ આપે અને શાંત થઈ જાય એવું કરો.”
“નચિકેતા, તારી ઇચ્છા પ્રમાણે જ થશે. હવે બીજું વરદાન માગ.”
નચિકેતાએ બીજું વરદાન માગતાં કહ્યું, “હે યમદેવતા! મેં સાંભળ્યું છે કે સ્વર્ગલોકમાં વસતા જીવોને ભય, વ્યાધિ, ભૂખ, તરસ કે વૃદ્ધત્વની અસર થતી નથી. સ્વર્ગલોકમાં રાત-દિવસ સુખ અને શાંતિ હોય છે. મને એ કહો કે, સ્વર્ગલોકની પ્રાપ્તિ કેવી રીતે થાય?”
નચિકેતાના બીજા વરદાનના પ્રતિભાવમાં યમદેવતાએ નચિકેતાને વિશેષ પ્રકારે યજ્ઞાનું વિધાન દર્શાવ્યું. તે પછી બોલ્યા, “હવે ત્રીજું વરદાન માગ.”
નાનકડા નચિકેતાએ ત્રીજા વરદાન રૂપે એક જિજ્ઞાાસા વ્યક્ત કરી. તે બોલ્યો, “હે યમદેવતા! મારે મૃત્યુ વિશે જાણવું છે. મૃત્યુ પછી જીવનું શું થાય છે? કોઈ કહે છે કે, મૃત્યુ પછી જીવ રહેતો નથી, તો કોઈ કહે છે કે, મૃત્યુ પછી જીવ રહે છે. એવો કોઈ માર્ગ છે કે જેથી અમરત્વ પ્રાપ્ત થાય? એવો કોઈ રસ્તો છે કે, મૃત્યુ પર વિજય પ્રાપ્ત થાય?”
એક નાનકડા બાળકના મુખેથી પુછાયેલા અઘરા પ્રશ્નથી યમદેવતા પણ મૂંઝાયા. આમેય યમદેવતા કોઈને પણ મૃત્યુ પરના વિજયનું રહસ્ય બતાવવા ઇચ્છતા નહોતા. તેમણે નચિકેતાને કહ્યું, “નચિકેતા! તને જે વિષયની જિજ્ઞાાસા છે તે ઘણો ગૂઢ છે. મારા સિવાય એ રહસ્ય કોઈ જાણતું નથી. દેવો પણ આ રહસ્ય જાણવાની ઇચ્છા ધરાવે છે. તું એ વિષય પર જાણવાનો આગ્રહ છોડી દે અને બીજું કોઈ વરદાન માગી લે.”
નચિકેતા બોલ્યો, “જો દેવો પણ અમરત્વનું રહસ્ય જાણવા માંગતા હોય તો એનો અર્થ એ છે કે, એ વિષય જ મહત્ત્વનો છે. વળી આ વિષયમાં મને તમારાથી વધુ વિદ્વાન કોઈ વ્યક્તિ મળે તેમ નથી. મારે બીજું વરદાન નથી માગવું. મને તો આ વિષય પર જ જ્ઞાાન આપો.”
નચિકેતાની દૃઢતા જોઈ યમદેવતા પ્રસન્ન થયા, પણ હજુ તેઓ જ્ઞાાન મેળવવા માગતા બાળકની લાયકાતની વધુ કસોટી કરવા ઇચ્છતા હતા. તેમણે નચિકેતાને પ્રલોભન આપતાં કહ્યું, “નચિકેતા! તારી ઇચ્છા હોય તો સો-સો વર્ષના આયુષ્યવાળા પુત્રો અને પૌત્રોની માગણી કર. તને જોઈએ તેટલું સોનું, હાથી, ઘોડા અને સામ્રાજ્ય આપું. તું વિપુલ ધન અને પૃથ્વીના સમ્રાટ થવાનું માગ. પૃથ્વી પરના શ્રેષ્ઠ રથમાં વાજિંત્રોવાળી સુંદર સ્ત્રીઓ આપું, પણ મૃત્યુના રહસ્યના જ્ઞાાનની ઇચ્છા છોડી દે.”
નચિકેતાએ અત્યંત વિવેકપૂર્ણ સ્વરે કહ્યું, “હે યમદેવતા! તમે જે પદાર્થો અને વિષયો કહ્યા તે બધા નાશવંત છે. ઇન્દ્રિયોનું તેજ અને સામર્થ્યનો તે નાશ કરે છે. ક્ષણિક ચમકારા જેવા ટૂંકા જીવનમાં માણસ વિલાસ, વૈભવ અને ઇન્દ્રિયોના ભોગ પાછળ સમય બગાડે તો જીવનનો વિકાસ તે ક્યારે કરે? મને સુંદર સ્ત્રીઓ, ધન કે સંપત્તિ જોઈતાં નથી, ડાહ્યા માણસોએ તો તેમનો સઘળો સમય આત્માની ઉન્નતિ માટે જ વાપરવો જોઈએ. હે યમદેવ! સંપત્તિથી માનવીને શાંતિ મળતી નથી. સંપત્તિથી બહુ બહુ તો સાંસારિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે, પણ અમરત્વ પ્રાપ્ત થતું નથી. સંપત્તિથી જન્મ-મરણનાં રહસ્યનો ઉકેલ આવતો નથી. મને તો મૃત્યુ પછી જીવના વિશે જે સંશય થયો છે તેના નિવારણનું જ જ્ઞાાન આપો. મેં જે વરદાન માગ્યું છે તે જ મને આપો. મારે બીજું કાંઈ જોઈતું નથી.”
એક નાનકડો બાળક સાંસારિક સુખોનાં કોઈ પ્રલોભન આગળ ઝૂક્યો નહીં. તેની અડગતા જોઈ યમદેવતાને લાગ્યું કે નચિકેતાની જ્ઞાાનપ્રાપ્તિ માટેની યોગ્યતા બરાબર છે.
યમદેવતાએ કહ્યું, “નચિકેતા! સંસારના પ્રિય પદાર્થો અને ઉપભોગોની ઇચ્છા ત્યજીને તું ધન કે સંપત્તિની લાલસાથી અંજાયો નથી. તને કેવળ સત્ય જ્ઞાાનની ભૂખ છે. ઘણાં બુદ્ધિમાનો પણ સાંસારિક પદાર્થોના મોહમાં અંધ બની જાય છે. તારી વય નાની હોવા છતાં તારી માગણીમાં તું અડગ રહ્યો છે. ખરેખર તારા જેવો જિજ્ઞાાસુ મને કોઈ નહીં મળે.”
એ પછી ફરી યમદેવતાએ નચિકેતાને સહુથી પહેલાં શ્રેય અને પ્રેય વિશે જ્ઞાાન આપતાં કહ્યું, “શ્રેય એટલે આત્મકલ્યાણ અને પ્રેય એટલે સંસારના પ્રિય લાગતા પદાર્થો. દરેકના જીવનમાં એક તબક્કો એવો આવે છે જ્યારે આત્મકલ્યાણનો માર્ગ અથવા તો સંસારના ભોગોનો માર્ગ, એ બેમાંથી એકની પસંદગી કરવાની આવે છે. સુખી થવાનો માર્ગ આત્મોન્નતિનો છે, સાંસારિક ભોગોનો નહીં. અલબત્ત, એનો અર્થ એ નથી કે શ્રેય અને પ્રેય એકબીજાના વિરોધી છે. હકીકતમાં બંને સાવકી માતાનાં બે સંતાનો જ છે. બંને માર્ગો એકબીજાના વિરોધી નથી. જીવનમાં બંનેની વત્તેઓછે અંશે જરૂર રહે છે. માણસને જીવનને સુખી, સમૃદ્ધ અને સુશોભિત રાખવા પ્રેયની પણ જરૂર રહે છે તેમ આત્મોન્નતિ માટે શ્રેયની પણ જરૂર રહે છે. એકબીજા તરફ સૂગ રાખવાની જરૂર નથી.”
તે પછી આત્મજ્ઞાાન આપતાં યમદેવતાએ કહ્યું, “આત્મા અમર છે. શરીરમાં તેની ઉપસ્થિતિથી જ તે કામ કરે છે. જીવન આટલું જ છે અને તે પછી કંઈ જ નથી તેમ માનવું ખોટું છે. આ જીવન પૂરું થયા પછી બીજું અનંત જીવન બાકી રહે છે, એમ જે જાણે છે તે જ સાચા અર્થમાં જ્ઞાાની છે. આત્મા અત્યંત ગૂઢ છે, સૌથી જૂનો અને પ્રાચીન છે. તે જ્ઞાાન અને યોગથી જાણી શકાય છે. આત્માનું જ્ઞાાન મેળવ્યા બાદ માનવી આનંદમય બની જાય છે. તું તેમાં પ્રવેશ કરવા માટે યોગ્ય છે, નચિકેતા.”
યમદેવતાએ કહ્યું, “આત્મા એ જ પરમાત્મા છે. તેને બ્રહ્મ પણ કહે છે. તે પરમપદ અને પરમતત્ત્વ પણ છે. તેને પ્રાપ્ત કરવા તપસ્વીઓ તપ કરે છે. તે અવિનાશી છે. તેને જાણી લેવાથી માનવી જે જે વસ્તુની ઇચ્છા કરે છે તે તેને મળી રહે છે. જે તેને જાણી લે છે તે સંસારમાં મહાન બની જાય છે અને પોતાની પ્રતિભાથી સર્વત્ર પૂજાય છે. આત્મા કદી જન્મતો નથી, કદી મરતો નથી. તે જન્મરહિત, નિત્ય, સનાતન અને સહુથી પુરાતન છે. આત્મા કદી કોઈથી હણાતો નથી. આત્મા કોઈને હણતો નથી. આત્મા હૃદયરૂપી ગુફામાં બિરાજમાન છે. તેનું દર્શન દરેકને થતું નથી. મનને નિર્મળ કરવાથી, કામના તથા શોકથી રહિત થવાથી, તેનો અનુભવ થઈ શકે છે. આત્માને વ્યાપક રૂપે જાણીને વિવેકી વ્યક્તિ શોક અને મોહથી મુક્તિ મેળવે છે.”
યમદેવતાએ કહ્યું, “વેદોનો અભ્યાસ કરવાથી કે તેના પાઠમાં પ્રવીણ થવાથી આત્માની પ્રાપ્તિ થતી નથી. બહુ વિશાળ કે ઊંડી બુદ્ધિ દ્વારા શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કરવો પણ જરૂરી નથી. માણસ ભલે નિરક્ષર હોય, વેદનો અક્ષર પણ જાણતો ન હોય, છતાં આત્માને ઓળખવાનું વ્રત લે, આત્માના અનુભવનો દૃઢ સંકલ્પ કરે, તેની જ પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરે તો તેની પ્રાપ્તિ થાય છે. જેનું મન અતિશય ચંચળ છે અને પોતાની ઇન્દ્રિયો તથા મન પર કાબૂ નથી તથા જેનું જીવન દુરાચાર, અનીતિ અને અધર્મથી ભરેલું છે તેને પરમાત્માનું દર્શન કદી થતું નથી. શરીર એક રથ છે, આત્મા તેમાં બેઠેલો યોદ્ધા છે. બુદ્ધિ સારથિ છે, મન તેની લગામ છે, ઇન્દ્રિયો રથના ઘોડા છે. વિષયો તેમના ભોગસ્થાન અને રસ્તા છે. શરીર, મન તેમજ ઇન્દ્રિયો સાથે સંબંધમાં આવી જઈને જે આત્મા વિષયોને ભોગવે છે તે ભોક્તા છે. ઘોડા તોફાની હોય તો સારથિના કાબૂમાં રહેતા નથી. ચંચળ મન અને અજ્ઞાાની માણસોની ઇન્દ્રિયો તેના વશમાં રહેતી નથી. સારા અને શાંત ઘોડા જ સારથિના કાબૂમાં રહે છે, તેમ સ્થિર મનના વિવેકી માણસની ઇન્દ્રિયો સદા તેના નિયંત્રણમાં રહે છે. પરમાત્માની પ્રાપ્તિ બાદ ફરી જન્મવાનું રહેતું નથી. માર્ગ વિકટ છે, મુશ્કેલી અને મૂંઝવણથી ભરેલો છે. તે પાર કરવા ખૂબ ધીરજ, હિંમત, વિવેક અને સાવધાની જરૂરી છે, પરંતુ સાધકે ડરવાની જરૂર નથી. જે વ્યક્તિ એ મુશ્કેલીઓ, ભયસ્થાનો અને પ્રલોભનોને સરળતાથી પાર કરી જશે તેને પરમાત્માનો સાક્ષાત્કાર જરૂર થશે.”
યમદેવતાએ નચિકેતાને કહ્યું, “પરમાત્મા સૌના આદિ છે. તેમનાથી જ આ સંસારની ઉત્પત્તિ થાય છે. સૌનાં હૃદયમાં તે બિરાજમાન છે. તે આત્મા પણ કહેવાય છે. બંનેનું સ્વરૂપ સરખું જ છે. તેમાં જે ભેદ જુએ છે તે અજ્ઞાાની છે. જે તેને જાણતો નથી તે માનવી વારંવાર જન્મ અને મરણના ચક્રમાં ફર્યા કરે છે. જે સાધક આત્માનો અનુભવ કરી લે છે તેનો આત્મા પરમાત્મા સાથે એકરૂપ થઈ જાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્તિને પામે છે.”
યમદેવતા કહે છે, “કેટલાક માનવીઓ મૃત્યુ પછી શરીર પામવા જુદી જુદી યોનિઓમાં પ્રવેશ કરે છે. કેટલાંક વૃક્ષ, વેલ, છોડ અથવા બીજા સ્થાવરપણાને પામે છે. મૃત્યુ પછી ખરેખર તે કેવી જાતનો જન્મ લેશે તે નક્કી નથી. દરેકના જ્ઞાાન અને કર્મ પ્રમાણે બીજો જન્મ થાય છે. કોઈ પણ જીવ પરમાત્માને ઓળખ્યા વિના જન્મ અને મરણના ચક્રમાંથી છૂટતો નથી. પરમાત્માને જાણવાથી માનવી સાચા અર્થમાં સુખી, શાંતિમય અને અમર બની શકે છે. અગ્નિ જેવી રીતે એક છે પણ જુદી જુદી વસ્તુઓમાં પ્રવેશીને જુદા જુદા આકાર ધારણ કરે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓના અંતરાત્મા રૂપે રહેલા પરમાત્મા જુદા જુદા આકાર પ્રમાણે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે.
 સૂર્ય જગતને પ્રકાશ આપનાર અલૌકિક આંખ જેવો છે. તે બહારની આંખોના દોષોથી દૂષિત થતો નથી તે રીતે સહુના પરમાત્મા સંસારનાં દુઃખોથી લેપાતા નથી. પરમાત્મા સૂર્ય, ચન્દ્ર, અગ્નિ કે તારાના પ્રકાશથી દેખાતા નથી. ખરેખર તો સૂર્ય, ચન્દ્ર, તારા અને અગ્નિ પણ તેમના જ પ્રકાશે પ્રકાશશીલ છે. સમગ્ર બ્રહ્માંડ પણ તેમના જ પ્રકાશે તેજોમય છે. આવા પરમાત્માને જે જાણી લે છે અને અંદરથી તથા બહારથી અનુભવી લે છે, તે જ પરમ શાંતિ અને પરમ સુખને પામે છે. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોને શાંત અને સ્થિર કરવાથી પરમાત્માની અનુભૂતિ થાય છે અને પરમપદ કે પરમગતિ પણ તેને જ કહેવાય છે.
યમદેવતા કહે છે, “પરમાત્મા વિશે બુદ્ધિથી જાણ્યા બાદ સાધના વિના પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી. પરમાત્માના પ્રત્યક્ષ અનુભવ, પરિચય અને મેળાપને યોગ કહે છે. તેનાથી જ મન અને ઇન્દ્રિયો શાંત થાય છે, જ્ઞાાનની પ્રાપ્તિ થાય છે અને અજ્ઞાાનતાનો નાશ થાય છે. યોગ અનુભવ અને આચારનું શાસ્ત્ર છે. હૃદયની એકસો ને એક નાડી છે. તેમાંની એક નાડીનું નામ સુષુમ્ણા છે. તે નાડી બ્રહ્મરંધ્ર તરફ જાય છે. જે વ્યક્તિ યોગ કે પ્રાણાયામની સાધનામાં કુશળ બનીને તે નાડી દ્વારા મૃત્યુ વખતે ઉપર ગતિ કરે છે તે અમર બની જાય છે. તે સિવાયની બીજી બધી નાડીઓ જીવાત્માને જુદા જુદા માર્ગે લઈ જાય છે, એટલે કે મૃત્યુ વખતે બીજી નાડીઓ દ્વારા જેનો પ્રાણ બહાર જાય છે તે માણસને બીજી અને જુદી જુદી ગતિની પ્રાપ્તિ થાય છે. હૃદયમાં રહેલા અંતરાત્માને શરીરથી અલગ જાણવાની કળામાં કુશળ થવું જરૂરી છે.”
અને એ રીતે યમદેવતાએ નાનકડા નચિકેતાને મૃત્યુ પછી જીવનું શું થાય છે અને અમરત્વ કેવી રીતે મળે તે માર્ગ બતાવી દીધો.
આ જ્ઞાાન કઠોપનિષદનું છે. કઠોપનિષદની આ કથાનો સાર એટલો જ છે કે માનવીએ પરમાત્માને જાણવા-ઓળખવા, તેમ કરવાથી જ મૃત્યુ પર વિજય મેળવી શકાય છે અને શાંતિની પ્રાપ્તિ થઈ શકે છે. તમામ ઉપનિષદોમાં કઠોપનિષદ સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત છે. વેદકાલીન ઉપનિષદો એ ભારતીય સંસ્કૃતિનો અને જ્ઞાાનનો અમૂલ્ય વારસો છે. ’ઉપ’ એટલે પાસે અને ‘નિષદ’એટલે બેસવું એવો અર્થ થાય છે. જ્ઞાાની મહાપુરુષો પાસે બેસીને જ્ઞાાન મેળવવું તે જ્ઞાાનના સંગ્રહને ઉપનિષદ કહે છે. બધાં જ ઉપનિષદો સંસ્કૃત ભાષામાં લખાયેલાં છે. એ બધાંમાં કઠોપનિષદ તેની સરળતા, પ્રાસાદિકતા અને તેમાં રહેલા જ્ઞાાનની સામગ્રીના લીધે વધુ લોકપ્રિય છે. ‘કઠોપનિષદ’ની પૂર્ણાહુતિ પણ શાંતિપાઠથી કરવામાં આવી છે. તે શ્લોક જાણીતો છે.
ૐ સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ, મા વિદ્વિષાવહૈ.ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ
આ શ્લોકનો અર્થ છે, ‘અમે સાથે સાથે વિકાસ કરીએ. પરમાત્મા અમારું સાથે રક્ષણ કરો. અમારું સાથેસાથે પાલન કરો. અમે સહુ સાથેસાથે સામર્થ્ય મેળવીએ. અમારું જ્ઞાાન તેજસ્વી બનો. અમે કોઈનો દ્વેષ ન કરીએ અને સહુના પર પ્રેમ રાખીએ.ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ’